ગુજરાતમાં સિમેન્ટના રોડ બનાવવાની યોજના: ડામરના રસ્તાઓને બદલે સીસી રોડનો વિકલ્પ

ALN NEWS DESK
ALN NEWS DESK
Updated : Aug 1, 2026, 06:27 AM IST
6 min read
  • linkedin
  • twitter
  • facebook
  • instagram
  • whatsapp

ગુજરાત સરકારે ડામરના રસ્તાઓને બદલે સિમેન્ટના રોડ બનાવવાની યોજના ઘડી છે, જે લાંબા ગાળે ટકાઉ અને મજબૂત રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રોડની સ્થિતિમાં સુધારો થશે.

28 જુલાઈએ ગુજરાત સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય લીધો. વરસાદના કારણે ડામરના રોડ તૂટે છે, વારેવારે રિપેર કરવા પડે છે ત્યાં સિમેન્ટના રોડ બનાવી દેવાશે. શહેરોથી લઈને ગામડાં સુધી સિમેન્ટના રોડ બનાવવા મોટો પડકાર છે. શું આ સંભવ છે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં…

સવાલ-1: ગુજરાત સરકારે શું જાહેરાત કરી?

જવાબ: સરકારની કેબિનેટ મિટિંગમાં મહત્વનો નિર્ણય લેવાયો. તેની જાહેરાત સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ કરી. તેમણે કહ્યું કે, જ્યાં ડામર રોડમાં પાણી ભરાતાં હોય તેવા રસ્તા સિમેન્ટના કરાશે. પછી એ રસ્તા ગ્રામ પંચાયતના હોય, R&Bના હોય, મહાપાલિકા કે નગરપાલિકાના હોય. જ્યાં ઈન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંથી ભારે વાહનો પસાર થયા કરે છે. ત્યાં સીસી રોડ બનશે.

જીતુભાઈએ આગળ કહ્યું, ડામર રોડ કરતાં સીસી રોડનો ખર્ચ વધારે થાય પરંતુ સરકારે ચિંતા કરી નથી. કારણ કે સીસી રોડ લાંબાગાળા સુધી ટકે છે. મજબૂતી સારી રહે, રિપેરિંગ ખર્ચ ઓછો આવે, ખાડા પડતા નથી.

સવાલ-2: સીસી રોડ કેટલા પ્રકારના બની શકે?

જવાબ: R&Bના નિવૃત્ત એન્જિનીયર બી.વી.હરસોડા કહે છે, સીસી રોડ ઘણા પ્રકારના હોય પરંતુ મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે…

  • પરંપરાગત સિમેન્ટ કોંક્રિટ રોડ: નવા રોડ માટે જમીન ઉપર યોગ્ય સબગ્રેડ, ગ્રેન્યુલર સબ-બેઝ અથવા ડ્રાય લીન કોંક્રિટ અને તેના ઉપર ડિઝાઈન મુજબની જાડાઈનો સિમેન્ટ કોંક્રિટ સ્લેબ બનાવાય છે. આ પ્રકારના રોડ ભારે વાહનો, સિટીના મેઈન રોડ, ઈન્ડસ્ટ્રીયલ રોડ અને લાંબા આયુષ્યની જરૂરિયાત ધરાવતા રોડ માટે યોગ્ય હોઈ શકે.
  • વ્હાઇટ ટોપિંગ: હાલનો ડામર રોડ પૂરતો સ્થિર ન થયો હોય, તેની સપાટી ખરાબ થઈ ગઈ હોય ત્યારે જૂના ડામર રોડ ઉપર સિમેન્ટ કોંક્રિટનો ઓવરલે બિછાવવામાં આવે છે. આ પદ્ધતિમાં હાલના ડામર રોડનો ઉપયોગ નીચેના સપોર્ટિંગ લેયર તરીકે થઈ શકે છે. તેથી સંપૂર્ણ રોડ ખોદીને ફરીથી બનાવવાની જરૂરિયાત કેટલીક પરિસ્થિતિઓમાં ઘટી શકે.
  • થિન વ્હાઇટ ટોપિંગ: મધ્યમ જાડાઈનો કોંક્રિટ ઓવરલે કરીને હાલના ડામર રોડને મજબૂત બનાવવાની પદ્ધતિને થિન વ્હાઇટ ટોપિંગ કહે છે. આ પદ્ધતિ ખાસ કરીને એવા શહેરી માર્ગો માટે ઉપયોગી બની શકે છે જ્યાં હાલના ડામર રોડનો પાયો અને સબગ્રેડ સારી સ્થિતિમાં હોય.
  • અલ્ટ્રા-થિન વ્હાઇટ ટોપિંગ: આ ટેકનોલોજીમાં ઓછી જાડાઈના હાઈ એફિશિયન્સી ધરાવતા કોંક્રિટ ઓવરલેનો ઉપયોગ થાય છે. કેટલીક ડિઝાઇનમાં ફાઇબર-રિઇન્ફોર્સ્ડ કોંક્રિટનો પણ ઉપયોગ થઈ શકે છે. આ ટેકનોલોજી દરેક રોડ માટે યોગ્ય નથી. તેની સફળતા માટે હાલના રોડની મજબૂતી, સબગ્રેડ સપોર્ટ, વાહન વ્યવહાર, કોંક્રિટની ગુણવત્તા અને જોડાણની ડિઝાઇન મહત્વપૂર્ણ છે.

સવાલ-3: ગુજરાતમાં સીસી રોડના નેટવર્ક માટે કેટલા પડકારો છે?

જવાબ: ગુજરાતમાં મોટાપાયે સીસી બનાવવાના પડકારો ઘણા છે. મુખ્ય પડકારો પર R&Bના નિવૃત્ત એન્જિનીયર બી.વી.હરસોડા ધ્યાન દોરે છે.

  • ડિઝાઈનની એકરૂપતા: દરેક રોડ માટે એકસરખી જાડાઈ અથવા એકસરખી ડિઝાઇન અપનાવવી યોગ્ય નથી.
  • ડ્રેનેજ: રોડની બાજુમાં પાણી ભરાય અથવા પાણી સબગ્રેડ સુધી પહોંચે તો સ્લેબને નુકસાન થઈ શકે.
  • યુટિલિટી સર્વિસ: પાણીની લાઇન, ગટર, ગેસ, વીજળી અને ટેલિકોમ લાઇન માટે વારંવાર સીસી રોડ કાપવામાં આવે તો રોડનું આયુષ્ય ઘટી શકે.
  • જોઇન્ટની ક્વોલિટી: ખોટા અંતરે જોડાણ, સમયસર સોઇંગ ન કરવું અથવા સીલિંગમાં ખામી રહે તો ક્રેકિંગ થઈ શકે.
  • ક્યોરિંગ: પૂરતા ક્યોરિંગ વગર કોંક્રિટની મજબૂતી અને ટકાઉપણું અસરગ્રસ્ત થઈ શકે છે.
  • કુશળ કોન્ટ્રાક્ટર અને મશીનરી: મોટા પાયે અમલીકરણ માટે આધુનિક પેવિંગ મશીનરી, બેચિંગ પ્લાન્ટ, ક્વોલિટી કંટ્રોલ અને ટ્રેઈન્ડ મેનફોર્સ જરૂરી છે.
  • ટ્રાફિક વ્યવસ્થાપન: કોંક્રિટ રોડને જરૂરી મજબૂતી ન મળે ત્યાં સુધી ટ્રાફિક નિયંત્રણ જરૂરી બને છે.
  • સમયસર ક્વોલિટી ટેસ્ટ: કોંક્રિટ મિક્સ, સ્લમ્પ, તાપમાન, ક્યુબ અથવા કોર સ્ટ્રેન્થ જાડાઈ અને સપાટીની ક્વોલિટીનો નિયમિત ટેસ્ટ જરૂરી છે.

સવાલ-4: ગુજરાત માટે સૂચિત અમલીકરણ મોડેલ કેવું હોવું જોઈએ?

જવાબ: ગુજરાતમાં આ કાર્યને તબક્કાવાર અને સાયન્ટિફિક રીતે અમલમાં મૂકવા માટે R&Bના નિવૃત્ત એન્જિનીયર બી.વી.હરસોડા સૂચન કરે છે કે,

  • પ્રથમ તબક્કામાં વિવિધ હવામાન અને ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા
  • શહેરી, ઔદ્યોગિક અને ભારે ટ્રાફિકવાળા રોડ માટે અલગ ડિઝાઇન તૈયાર કરવી
  • દરેક પાયલોટ પ્રોજેક્ટના રોડનો 3 થી 5 વર્ષ સુધી નિયમિત અભ્યાસ કરવો
  • CRRI, IIT, રાજ્યની ઇજનેરી સંસ્થાઓ અને માર્ગ વિભાગના નિષ્ણાતોની ટેકનિકલ સમિતિ રચવી
  • રાજ્ય માટે સ્ટાન્ડર્ડ ડિઝાઇન, સ્પેસિફિકેશન અને ક્વોલિટી કંટ્રોલ મેન્યુઅલ તૈયાર કરવું
  • કોન્ટ્રાક્ટર અને વિભાગના એન્જિનીયરોને વિશેષ ટ્રેનિંગ આપવી
  • દરેક રોડ માટે ડિજિટલ ક્વોલિટી રેકોર્ડ અને જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ રાખવા
  • બાંધકામ પછી ક્રેકિંગ, જોઇન્ટની સ્થિતિ, સપાટીની સમથળતા અને રાઇડ ક્વોલિટીનું ઓબ્ઝર્વેશન કરવું.

સવાલ-5: સિમેન્ટ રોડનો પ્રોજેક્ટ કેવી રીતે સફળ થઈ શકે, એક્સપર્ટનું શું કહેવું છે?

જવાબ: આ અંગે બી.વી.હરસોડા કહે છે, ગુજરાતમાં CC રોડનો વિસ્તૃત કાર્યક્રમ લાંબા ગાળે ટકાઉ માર્ગ વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ સફળતા માત્ર કોંક્રિટ રોડ બનાવવાથી નહીં, પરંતુ યોગ્ય ટેકનોલોજી પસંદગી, વૈજ્ઞાનિક ડિઝાઇન, મજબૂત પાયો, અસરકારક ડ્રેનેજ, ગુણવત્તાયુક્ત કોંક્રિટ, યોગ્ય જોઇન્ટિંગ, પૂરતી ક્યોરિંગ અને સતત કામગીરી નિરીક્ષણ ઉપર આધારિત રહેશે. જાહેર નાણાંનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે દરેક રોડનું ટેકનિકલ મૂલ્યાંકન અને જીવનચક્ર ખર્ચ (લાઈફ સાઈકલ કોસ્ટ)નું વિશ્લેષણ કરવું જરૂરી છે. જ્યાં હાલનો ડામર રોડ મજબૂત હોય ત્યાં વ્હાઇટ ટોપિંગ અથવા થિન વ્હાઇટ ટોપિંગ યોગ્ય વિકલ્પ બની શકે છે, જ્યારે નવા ભારે ટ્રાફિકવાળા માર્ગો માટે સંપૂર્ણ જાડાઈવાળો રિજિડ પેવમેન્ટ વધુ યોગ્ય હોઈ શકે છે. યોગ્ય માર્ગ માટે યોગ્ય ટેકનોલોજી, વૈજ્ઞાનિક ડિઝાઇન અને ગુણવત્તાયુક્ત અમલીકરણ - એ જ ટકાઉ અને લાંબા આયુષ્યવાળા રોડનો આધાર છે.

સવાલ-6: હજારો કિલોમીટરના સીસી રોડ બનાવવા સંભવ છે?

જવાબ: આ સવાલને આ રીતે સમજો…

ગુજરાતમાં 80 હજાર કિલોમીટરનું ડામર રોડનું નેટવર્ક છે. એમાંથી હાઈવે બાદ કરી નાખો તો 60 હજાર કિલોમીટરની લંબાઈના રોડ બચે. હવે જો ગુજરાત સરકાર આ બધા રોડ સિમેન્ટના બનાવવાનું નક્કી કરે તો કરોડો ગુણી સિમેન્ટ જોઈએ. લાખો ટન લોખંડ જોઈએ. મેન પાવર પૂરતો જોઈએ અને વાત રહી ફંડની તો સરકાર કહે છે, ડામર કરતાં 30% ખર્ચ વધે છે. એટલે સરકાર માટે ટાઈમલાઈન અને ફંડનો પડકાર મોટો છે.

દાખલા તરીકે અમદાવાદમાં પ્રેરણાતીર્થ દેરાસર રોડ ગોપી સર્કલથી જોધપુર રોડની સ્કાય બ્લૂ સ્ટેશનરી સુધી સીસી રોડ બનાવ્યો. તે લગભગ 4 કિલોમીટરનો છે. તે બનતાં 1 વર્ષથી વધારે સમય લાગ્યો. હવે વિચારો 80 હજાર કિલોમીટરમાંથી સરકાર કદાચ 50 હજાર કિલોમીટરનું નેટવર્ક પણ સીસી રોડનું કરવામાં આવે તો ઓછામાં ઓછા 30 વર્ષ તો નીકળી જાય. જો એ કામ 2027થી જોરશોરથી શરૂ કરી દેવાય તો.

સવાલ-7: 142 વર્ષ પછી પણ ગોંડલના રસ્તાનું ઉદાહરણ કેમ અપાય છે?

જવાબ: ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ 1884થી 1932 વચ્ચે ગોંડલમાં રસ્તા અને પુલના કામો કરાવ્યા હતા. એ વખતે એન્જિનિયર્સ અંગ્રેજો હતા અને કોન્ટ્રાક્ટ આપતા હતા. કાંઈપણ નિર્માણ કરવા માટે અંગ્રેજોએ રાજાની પરવાનગી લેવી પડતી.

પણ ભગવતસિંહજી બોન્ડ કરાવતા. તે રોડ અને પુલનું બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટરો પાસેથી બાંયધરી પત્ર લેતા કે, રસ્તા એવા બનાવીશ કે 10 વર્ષ સુધી તૂટશે નહીં. બ્રિજ એવા બનાવીશ કે 100 વર્ષ સુધી તૂટશે નહીં. થયું પણ એવું જ, ગોંડલના રસ્તા અને પુલ વર્ષો સુધી ટક્યા. ભાવનગર રાજ્યના અંગ્રેજ જોઈન્ટ એડમિનિસ્ટ્રેટર મેજર બર્કે કહેલું કે, ગોંડલના રસ્તા સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ રસ્તા છે.

ઈતિહાસવિદ્દ પ્રદ્યુમન ખાચરે ભાસ્કરને કહ્યું, મહારાજા સર ભગવતસિંહજી ઘોડાગાડીમાં રસ્તાનું નિરીક્ષણ કરવા નીકળતા. ઘોડાગાડી સરળતાથી ચાલી જાય પરંતુ સહેજ ઝટકો લાગે તો ઘોડાગાડી ઊભી રખાવીને નીચે ઉતરતા. પછી નજીકની દીવાલે નિશાનીરૂપે લીટો કરતા.

બીજા દિવસે કોન્ટ્રાક્ટરને બોલાવીને સૂચના આપતા. આ જગ્યાએ મેં જમણી બાજુ લીટો કર્યો છે ત્યાં રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. તાત્કાલિક મરામત કરાવો.

ગુજરાત સરકાર પાસે મેન પાવર છે, ફોર્સ છે, મશીનરી છે, ટેકનોલોજી છે પરંતુ સવાલ એ છે કે શું સરકાર પાસે મહારાજા ભગવતસિંહજી જેવું વિઝન છે? એનો એક જ અક્ષરમાં જવાબ છે - ના.

Get More Updates

To learn more about the latest developments in Crime & Law, stay updated with our exclusive reports and analyses on AiLensNews.

Related News